ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના સાગરકાઠે આવેલું ભગવાન શિવજી નું ભવ્ય મંદિર એટલે સોમનાથ મહાદેવ… આ મંદિર ની પ્રસિદ્ધિથી લલચાઈને આ મંદિર ઉપર લૂંટ તથા ધર્માતરણ કરવાના ઇરાદેથી અવેલા આક્રમણો સામે સોમનાથનુ મંદિર અડીખમ ઉભુ રહ્યું છે. જયારે જયારે આ મંદિર ઉપર વિનાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ત્યારે આ મંદિર ફરીથી બાંધવામાં આવ્યું છે.સોમનાથ મંદિર ગુજરાત રાજ્યમાં સ્થિત છે અને આ મંદિર દેશનાં ૧૨ જ્યોતિર્લિંગ માંથી એક છે. સોમનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને વિશ્વ પ્રસિધ્ધ મંદિરોમાં એક છે. એવું કહેવામાં આવે છે કે સોમનાથ જ્યોતિર્લિંગ ભગવાન શિવનું પ્રથમ જ્યોતિર્લિંગ છે અને આ મંદિરની સ્થાપના ચંદ્ર દેવે દેવતાઓ સાથે મળીને કરી હતી. આ મંદિરને સોમનાથ મંદિરનાં નામથી ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે આ મંદિરમાં જઈને ભગવાન શિવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
સોમનાથ જ્યોતિર્લિંગની કહાનીનું વર્ણન પુરાણોમાં પણ મળી આવે છે. પુરાણો અનુસાર દક્ષ પ્રજાપતિની ૨૭ પુત્રીઓનો વિવાહ ચંદ્ર દેવ સાથે કરવામાં આવ્યો હતો. ચંદ્ર દેવ આ વિવાહથી ખુબ જ ખુશ હતા. પરંતુ ચંદ્ર પોતાની બધી પત્નીઓમાં દક્ષની પુત્રી રોહિણીને સૌથી વધારે પ્રેમ કરતા હતા. જેના કારણે રાજા દક્ષની અન્ય પુત્રીઓ વિવાહથી ખુશ હતી નહીં. એક દિવસ રાજા દક્ષની બધી દીકરીઓ તેમને મળવા માટે આવી અને તેમણે રાજા દક્ષને જણાવ્યું કે કેવી રીતે ચંદ્ર દેવ ફક્ત રોહિણીનું ધ્યાન રાખે છે.
અને બાકીની પત્નીઓને પ્રેમ કરતા નથી. રાજા દક્ષ પોતાની દીકરીઓનું આ દુઃખ જાણીને ખૂબ જ દુઃખી થયાં અને તેઓએ ચંદ્રદેવને મળવા માટે ચાલ્યા ગયા. ચંદ્રદેવ સાથે મુલાકાત કરીને રાજાદક્ષે તેમને સમજાવ્યા કે જે રીતે તમે રોહિણીને પ્રેમ કરો છો અને તેની દેખભાળ કરો છો, તેવી જ રીતે તેમની અન્ય પુત્રીઓને પણ ધ્યાન રાખો. રાજા દક્ષના સમજાવવા પર ચંદ્ર દેવે તેમને વચન આપ્યું કે તેઓ તેમની બધી પુત્રીઓનો ધ્યાન રોહિણી જેમ રાખશે.
ઘણો સમય પસાર થઈ ગયો, પરંતુ ચંદ્રદેવે પોતાનું વચન પૂર્ણ કરવામાં અસમર્થ રહ્યાં અને રાજા દક્ષને દીકરીઓ ફરીથી દુઃખી રહેવા લાગી. જ્યારે રાજા દક્ષને આ વાતની જાણ થઈ તો તેમણે ચંદ્રદેવને ફરીથી સમજાવવાની કોશિશ કરી પરંતુ ચંદ્રદેવ માન્યા નહીં. ત્યારબાદ રાજા દક્ષે ગુસ્સામાં આવીને ચંદ્ર દેવને “ક્ષયગ્રસ્ત” થવાનો શ્રાપ આપી દીધો. આ શ્રાપ મળતાની સાથે જ ચંદ્રદેવ ક્ષય રોગથી ગ્રસ્ત થઇ ગયા અને ધીરે-ધીરે તેમની ચમક ઓછી થવા લાગી. જેના કારણે દેવલોકમાં બધા દેવતાઓ ખૂબ જ ચિંતિત થઈ ગયા.
સોમનાથ જ્યોતિર્લિંગની કહાની અનુસાર આ શ્રાપ મળ્યા બાદ ચંદ્રદેવ શ્રાપમાંથી બચવાનો ઉપાય શોધવા લાગ્યા. ત્યારે ચંદ્રદેવ બ્રહ્માજીની પાસે પહોંચ્યા. બ્રહ્માજીનાં આ ઉપાયને માનીને સોમનાથ ચાલ્યા ગયા અને અહિયાં તેમણે વિધિપૂર્વક મહામૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન કર્યું અને ભગવાન શિવની આરાધના કરી. ચંદ્ર દેવે ૬ મહિના સુધી ભગવાન શિવની તપસ્યા કરી અને ૧૦ કરોડ વખત મૃત્યુંજય મંત્રનો જાપ કર્યો. ચંદ્ર દેવની આ કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને આ જગ્યા પર ભગવાન શિવે તેમને દર્શન આપ્યા અને કહ્યું કે ચંદ્ર દેવ તમારી કળા એક પક્ષમાં દરેક દિવસે ઘટતી જશે, જ્યારે બીજા પક્ષમાં તે નિરંતર વધતી જશે. આવી રીતે તમને પ્રત્યેક પૂર્ણિમા ના દિવસે પૂર્ણ ચંદ્રત્વ પ્રાપ્ત રહેશે. ચંદ્ર દેવને મળેલ આ વરદાનથી તેમને મળેલો શ્રાપ સમાપ્ત થઈ ગયો અને તેમની ચમક પરત આવી ગઈ. ત્યાર બાદ ચંદ્ર દેવે સોમનાથમાં શિવલિંગની સ્થાપના કરી અને ત્યારથી સોમનાથ મંદિર પ્રસિદ્ધ થઈ ગયું. આ જગ્યા પર દરેક વર્ષે લાખોની સંખ્યામાં લોકો આવે છે.
સોમનાથ મહાદેવ મંદિર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી.એવું કહેવામાં આવે છે કે આ મંદિરને ચંદ્ર દેવતાએ ઘણા દેવતાની સાથે મળીને બનાવ્યું હતું. આ મંદિરને ચંદ્ર દેવે સોનાથી, સૂર્ય દેવી ચાંદીથી અને ભગવાન શ્રીકૃષ્ણ એ લાકડા થી બનાવ્યું હતુ.સોમનાથ મંદિર ખૂબ જ જૂનું છે. આ મંદિર પર ઘણી વખત આક્રમણ કરવામાં આવ્યું હતું અને આ મંદિરને સંપૂર્ણ રીતે તોડી નાખવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ મંદિરને ૧૭ વખત નષ્ટ કરવામાં આવ્યું હતું.
૮ મે, ૧૯૫૦માં સોમનાથ મહાદેવ મંદિરની આધારશીલા રાખવામાં આવી હતી. ત્યારબાદ ૧૧ મે, ૧૯૫૧ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદે સોમનાથ મહાદેવ મંદિરમાં જ્યોતિર્લિંગની સ્થાપના કરી અને આ મંદિર ૧૯૬૨માં પૂર્ણ નિર્મિત થયું હતું.મધ્ય કાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. આ સમય સને ૪૮૭ થી ૭૬૭ સુધીનો ગણાય છે. પરમારોના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું. આ મંદિર ૧૩ માળ ઊંચું હતું અને મંદિરના દ્વાર હીરાજડિત હતા. તેના ઉપર ૧૪ સુવર્ણ કળશો વિરાજમાન હતા. તેની ઉંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર પિછાણી તે તરફ વહાણો હંકારતા. ઈ.સ. ૭૫૫ માં વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથનું પતન કર્યું. સિંઘના અરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું.
૧૦૨૪ની સાલમાં મહંમદ (કે મહમૂદ) ગઝનવીએ પ્રભાસનો મજબૂત કિલ્લો હિંદુઓ સાથેના ૮ દિવસ ચાલેલા લોહીયાળ જંગ પછી તોડ્યો. રાજા ભીમદેવ પહેલા હાર્યા. ૫૦,૦૦૦ હિન્દુઓની કતલ થઇ. તેણે મહાદેવજીની પાંચ ગજ ઉંચી અને બે ગજ પહોળી મૂર્તિ તોડવા માંડી ત્યારે શિવભક્ત ભૂદેવોએ તેને તે સમયે પાંચ કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી. પણ તેણે કહ્યું: રૂપિયા લેવા કરતાં મને મૂર્તિ ભાંગવામાં વધારે મજા પડે છે! અને આખરે સોમનાથ લૂંટાયું અને તેણે સળગાવીને તેનો વિનાશ કરવામાં આવ્યો. શિવલિંગના ટુકડે-ટુકડા કરવામાં આવ્યા. એટલું જ નહિ, તે શિવલિંગના ટુકડાઓ તે પોતાની સાથે પાછો ગઝની લઇ ગયો અને ત્યાંના એક મસ્જિદના પ્રવેશદ્વારના પગથિયાંની નીચે તેમને દાટી દીધા કે જેથી મુસલમાનો હંમેશા એમના ઉપર પગ મૂકીને [અપમાનિત કરીને] મસ્જીદમાં પ્રવેશી શકે. મહમૂદને એક જ માસમાં રાજા પરમદેવે ત્યાંથી ભગાડ્યો.
૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું. તે જીર્ણ થતાં સમ્રાટ કુમારપાળે સને ૧૧૬૯માં આ મંદિરની રચના પુન: કરાવીને ફરીથી મંદિરની મહિમાનો અને જાહોજલાલીનો યુગ શરૂ કર્યો. આ પછી ૧૨૦ વર્ષે, સને ૧૨૯૯ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુઘખાને મૂર્તિના ટુકડે ટુકડા કર્યા અને ગાડામાં ભરીને તે દિલ્હી લઇ ગયો. સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. અગિયારમી સદીમાં આ વિનાશ પહેલા સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનો ઉલ્લેખ મળે છે કે સ્થાનિક રાજાઓએ મંદિરના નિભાવ માટે ૧૦,૦૦૦ ગામડાં અર્પણ કર્યા હતા. આ પવિત્ર સ્થળમાં ૨૦૦ મણ વજનની સાંકળો ઉપર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી, જેના દ્વારા શિવપૂજાના સમયની જાહેરાત કરાતી.
૫૬ જેટલા સાગના વિરાટ સ્તંભો ઉપર આ મંદિર ઉભું હતું. સેંકડો નટ-નટીઓ નૃત્ય કરી ભગવાન શિવને રીઝવતા. થાંભલે થાંભલે હિન્દુસ્તાનના રાજવીઓના નામ, ઈતિહાસ અને ખજાના ભર્યા હતા. માત્ર અને માત્ર ગંગાજીના પાણીથી જ અહીં પૂજન થતું. ભોયરામાં રત્નો અને સોનાના ભંડારો હતા. પરંતુ મૂર્તિ ગઈ, લૂંટ થઇ. પછી ફરી મંદિર વેરાન બની ગયું. એ પછી રા’નવઘણ ચોથાએ માત્ર લિંગની પ્રતિષ્ઠા કરી અને રાજા મહિપાળ દેવે સને ૧૩૦૮ અને ૧૩૨૫ વચ્ચે સમગ્ર મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. સને ૧૩૪૮ માં રાજા રા’ખેંગાર ચોથાએ સોમનાથમાં રહેતા મુસ્લિમ હાકેમને હાંકી કાઢ્યો. પરંતુ માત્ર ૭૦ જ વર્ષ પછી સને ૧૩૯૪-૯૫માં ગુજરાતના ધર્માંધ સુલતાન મુઝ્ઝફરખાન બીજાએ તેનો ફરીથી મૂર્તિ સહિત વિનાશ કર્યો.
મંદિરમાં મસ્જિદ બનાવી. મૌલવીઓ અને કાઝીઓ રાખ્યા. સોમનાથ ફરી એક વાર ભ્રષ્ટ કરાયું. લોકોએ થોડા જ વર્ષોમાં ફરી નવી મૂર્તિ પધરાવી. સને ૧૪૧૪ માં અમદાવાદનો સ્થાપક અહમદશાહ પહેલો મૂર્તિ ઉઠાવીને લઇ ગયો અને સોમનાથ પાયમાલ કરી મૂક્યું. એ પછી સને ૧૪૫૧માં રા’માંડલિકે મુસ્લિમ થાણા ઉઠાવી પુન: મંદિર પ્રતિષ્ઠા કરી. પરંતુ, ૧૫મી સદીમાં મહમદ બેગડો (સને ૧૪૫૯ થી ૧૫૧૧) ચઢી આવ્યો. તેણે મંદિરને મસ્જીદમાં ફેરવી નાખ્યું. ઈ.સ. ૧૫૬૦માં અકબરના સમયમાં મંદિર હિન્દુઓને પાછું મળ્યું અને પાછો પુનરુદ્ધાર થયો. ત્યાર બાદ શાંતિનો સમય ૨૦૦ વર્ષ સુધી ચાલ્યો. એ પછી ઔરંગઝેબ અને માંગરોળના શેખે મંદિરની અવદશા કરી. ૧૭૦૬ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે મંદિરના સર્વનાશનો હુકમ કર્યો અને ફરીથી મંદિર તોડી પાડ્યું ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર સને ૧૭૮૭ માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો.
પુન:નિર્માણ-ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. ત્યારબાદ 8 મે1950 માં સૌરાષ્ટ્ર ના પૂર્વ રાજા દિગ્વિજયસિંહે મંદિર ની આધાર શીલા રાખી તથા 11 મે 1951 વૈશાખ સુદ -5 ના રોજ સવારે ભારત ના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદ ના હસ્તે સોમનાથ ના જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે” આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. આજના મંદિર ને સ્થાને હતી જે મસ્જીદ તેનાથી થોડી દૂર લઈ જવાઈ છે.
જ્યારે ડિસેમ્બર ૧, ૧૯૯૫ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ ના સ્તંભ અને તેના પર તિર રાખીને કરવામાં આવેલા સંકેત પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે અને સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.
ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી.(સંદર્ભ આપો) સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.
અન્ય સ્થળો-સોમનાથ મંદિર ની નજીક હિરણ્યા ,સરસ્વતી અને કપિલ નદીનો ત્રિવેણી સંગમ થાય છે. આ ત્રિવેણીઘાટ ની પાસે મહાપ્રભુજીની બેઠક છે.અને નજીકમાંજ બ્રહ્મકુંડ નામની વાવ છે.તેની પાસે બ્રહ્મકમંડળ કૂવો અને બ્રહ્મેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.અહીં રસ્તામાં જલ પ્રભાસ નામના કુંડો આવેલા છે.સોમનાથથી 4કિલોમીટર દુર એક મોક્ષ પીપળો છે.અહીં ભગવાન શ્રીકૃષ્ણુંએદેહત્યાગ કર્યો હતો આ સ્થળ ભલકાતીર્થ તરીકે ઓળખાય છે. અને હિરણ્યા નદીના કિનારે ભગવાન શ્રીકૃષ્ણના દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો એમ કહેવાય છે.એવી માન્યતા છે કે સોમનાથ મંદિરમાં જ શ્રીકૃષ્ણએ પોતાનો દેહત્યાગ કર્યો હતો.સોમનાથ મંદિરમાં દરરોજ ૩ વખત આરતી થાય છે. સવારની આરતી ૭:૦૦ વાગે થાય છે, બપોરે આરતી ૧૨:૦૦ થાય છે અને ત્રીજી આરતી સાંજના સમયે ૭:૦૦ થાય છે.