આજે નવરાત્રીનો બીજો દિવસ છે. રાજ્યમાં નોરતાના પ્રથમ દિવસે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેનાથી ખેલાડીઓ પરેશાન થઈ ગયા. પરંતુ રાત્રે વરસાદ ન પડતાં ખેલાડીઓની ખુશી બેવડાઈ ગઈ હતી.
ત્યારે હવામાન વિભાગે નવરાત્રિમાં વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે આગામી ત્રણ-ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે.
હવામાન વિભાગની આગાહી મુજબ ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.
બીજી તરફ નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને તેના કારણે ખેલાડીઓમાં ચિંતાનું વાતાવરણ છે. આગાહી મુજબ અમદાવાદમાં બુધવાર અને ગુરુવારે સાંજે હળવા વરસાદની શક્યતા છે. જે બાદ વરસાદની શક્યતા નહિવત છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે બપોરે અમદાવાદ પૂર્વના મણિનગર, વટવા, ઓઢવ, સીટીએમ, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પરંતુ પશ્ચિમ વિસ્તારમાં વરસાદ થયો ન હતો. હવામાનશાસ્ત્રીના જણાવ્યા અનુસાર 29 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
અમદાવાદમાં માત્ર છંટકાવની શક્યતા છે. આથી નવરાત્રિમાં ખેલાડીઓનો મૂડ બગડવાની કોઈ શક્યતા નથી. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ કરોળિયાએ ઘરે-ઘરે જાળ બનાવવાનું શરૂ કરી દીધું છે, જેથી વરસાદ ધીમે ધીમે વિદાય લેશે.
વરસાદ હોવા છતાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં રાજ્યના કોઈપણ ભાગમાં વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થોડો વરસાદ પડી શકે છે.
ગુરુવારે વરસાદની આગાહીની વાત કરીએ તો, ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.
નવરાત્રીના દિવસોમાં પણ વરસાદની આગાહી અંગે તેમણે જણાવ્યુ કે, નવરાત્રીમાં 27મી તારીખે વાદળછાયું વાતાવરણ સર્જાઇ શકે છે અને 28મીથી બીજી તારીખ સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છાપટાં પણ પડી શકે છે.
જ્યારે તારીખ પાંચમી સુધીમાં સમુદ્રમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. તારીખ ત્રણથી પાંચમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.
ચોમાસાની વિદાય અંગે તેમણે જણાવ્યું કે, રાજ્યના અમુક ભાગોમાંથી ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસું વિદાય લેશે. પરંતુ ચોમાસાની વિદાય વચ્ચે પણ તારીખ 10 અને 11, જો શરદ પૂનમની રાતે ચંદ્ર શ્યામ વાદળો છવાશે તો સમુદ્રમાં વાવાછોડું ફૂંકાવવાની શક્યતા રહેશે.
તારીખ 8થી 22માં બંગાળના સમુદ્રમાં ચક્રવાત સર્જાઇ શકે છે. હવાનું હળવું દબાણ રહેતા દક્ષિણ પૂર્વીય તટીય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.